મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના કૃષિ મહોત્સવ

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે સ્વસ્થ તથા સુંદર શૈશવની રાજય સરકારની પ્રચંડ ઇચ્છાશકિતનો અસંદિગ્ધ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, રાજયમાં અંગ-વિકૃતિ તથા ચહેરાના અવયવોની ક્ષતિ સાથે જન્મેલા બાળકોનું રાજયવ્યાપી સર્વેક્ષણ હાથ ધરાઇ રહયું છે અને આગામી જુન માસથી આવા ભૂલકાંઓ-બાળકોની અદ્યતન ચિકિત્સા પધ્ધતિ વડે શસ્ત્રક્રિયા કરીને તેમને તંદુરસ્ત-સુંદર નવજીવન બક્ષવાનો સરકારે નિર્ધાર કર્યો છે. રાજયની ભાવિ પેઢી સ્વસ્થ સુંદર અને ચેતનવંતી બની રહે તે માટે રાજય સરકારના આ અત્યંત સરાહનીય નિર્ણયને ધરતીપુત્રોએ ઉલ્લાસભેર વધાવી લીધો હતો.

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે આદિજાતિ બહુલા મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મધ્ય ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લાઓના મેગા કૃષિ મહોત્સવને દબદબાભેર ખુલ્લો મૂકયો ત્યારે ઉપસ્થિત હજજારો કૃષકોએ આ અવસરને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલાં પશુ આરોગ્ય મેળાને ખુલ્લો મૂકી શીંગડાના કેન્સરથી પીડાતા એક વૃષભ પર થતી જટિલ શસ્ત્રક્રિયા નિહાળી હતી. તેમણે મધ્ય ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કૃષિમેળા સહ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ દરેક સ્ટોલ પર સૂક્ષ્મ પૂછપરછ કરીને જરૂરી દોરવણી આપી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટી અને મહિસાગર જિલ્લા પ્રશાસનના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત ધરતીપુત્રોને સંબોધન કરતા શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે, રાજયમાં દૂધ ઉત્પાદન તેમજ કૃષિ ઉત્પાદનમાં ઉત્તરોતર વૃધ્ધિ થતી હોવા છતાં ભૂલકાંઓનું કુપોષણ એક સમસ્યા હતી અને દરેક સમારંભોમાં સન્માનવિધિ ફળોથી કરવાની નવી પરંપરા પ્રસ્થાપિત કરીને આ ફળો આંગણવાડીના ભૂલકાંઓ માટે આપવાનું અમે શરૂ કર્યુ, જે કુપોષણ સામે એક અમોધ શસ્ત્ર બની રહયું છે.

 

Share